Gujarati Nibandh Varshrutu | ગુજરાતી નિબંધ વર્ષાઋતુ


 


3. વર્ષાઋતુ

 

“થરથર ભીંજે આંખ-કાન, વરસાદ ભીંજવે

કોને કોનાં ભાન-સાન વરસાદ ભીંજવે.” -રમેશ પારેખ

 

ઋતુઓનું ચક્ર સતત ફર્યા કરે છે. ગ્રીષ્મ વિદાય થતાં વર્ષાનું આગમન થાય છે. ગ્રીષ્મની કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ઊઠે છે. વરસાદના આગમનની બધા ચાતકનજરે રાહ જુએ છે.

 

ચોમાસું શરૂ થતાં જ આકાશમાં કાળાં ડિબાંગ વાદળાં છવાઈ જાય છે. એ જોઈ સૌના મનમાં વરસાદના આગમનની આશા જન્મે છે. પવનના સુસવાટા થાય છે, ધૂળની ડમરીઓ ઊડે છે. વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી થાય છે.

 

વરસાદનું આગમન થતાં સઘળે આનંદઆનંદ છવાઈ જાય છે. મોરલાની ગહેક, કોયલના ટહુકા અને દેડકાનું 'ડ્રાઉં...ડ્રાઉં...' વાતાવરણને જીવંત બનાવે છે. મોર કળા કરે છે, ખેડૂતો હરખઘેલા થઈ વર્ષાનાં ગીતો ગાય છે. નાનાં બાળકો વરસાદમાં નાચે છે, કૂદે છે અને ગાય છે: 

 

"આવ રે વરસાદ, ઘેબરીયો પરસાદ;

ઊનીઊની રોટલી ને, કારેલાનું શાક."

બારીએ બેસીને કે આંગણામાં ઊભા રહીને વરસતા વરસાદને જોવાની અને તેનું મધુરું સંગીત સાંભળવાની ખૂબ મજા પડે છે. વરસાદમાં નાહવાની મજા તો જે વરસાદમાં નહાય એને જ સમજાય છે.

 

વરસાદના આગમનની ધરતીમાંથી મીઠી સોડમ આવે છે. ધરતી નવું રૂપ ધારણ કરે છે. ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે. ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું મનોહર દૃશ્ય આંખને ઠારે છે. લીલાછમ કૂણાકૂણા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની મજા પડે છે. નવાં પાણીથી છલકાતાં જળાશયો જીવંત લાગે છે. ખેતરોમાં લીલોછમ પાક લહેરાવા લાગે છે. આ ઋતુમાં અવારનવાર દેખાતું સપ્તરંગી મેઘધનુષ નીલગગનમાં શોભી ઊઠે છે.

 

ક્યારેક દિવસો સુધી ધોધમાર વરસાદ પડે છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. નદીઓમાં પૂર આવે છે. પૂરનાં પાણી ગામોમાં અને ખેતરોમાં ફરી વળે ત્યારે ઘણું નુકસાન થાય છે. ધોધમાર વરસાદને લીધે ક્યારેક કાચાં મકાનો ધરાશાયી થઈ જાય છે, ગરીબ લોકોનાં ઘરવખરી અને ઢોર તણાઈ જાય છે. ખેતરોમાં ઊભેલો મોલ ધોવાઈ જાય છે.

 

ભારે વરસાદથી શહેરોના રસ્તાઓમાં પાણી ભરાઈ જાય છે. રસ્તાઓ પર ચાલતાં વાહનો ખોટકાઈ જાય છે. જનજીવન ઠપ થઈ જાય છે. બધે ઘણું નુકસાન થાય છે; ત્યારે આપણને કુદરતના રૌદ્ર સ્વરૂપનાં દર્શન થાય છે.

 

ક્યારેક વર્ષાઋતુમાં વરસાદ પડતો નથી કે ઘણો ઓછો પડે છે ત્યારે પૂરતું અનાજ પાકતું નથી. પાણી વિના પશુપંખીઓ અને માનવો ટળવળે છે. દુષ્કાળ એ કુદરતનું વરવું રૂપ છે.

 

સારા વરસાદને કારણે મબલખ પાક ઊતરે છે અને ચારે તરફ આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. લોકો પોતાના આનંદને પ્રગટ કરવા માટે જાતજાતના ઉત્સવો ઊજવે છે. આ ઉત્સવોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશચતુર્થી, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો મુખ્ય છે. લોકો આવા ઉત્સવોને આનંદ લૂંટે છે. વ્રતઉપવાસ કરે છે. પ્રભુને રીઝવે છે.

 

વર્ષાઋતુનું આગવું સૌંદર્ય છે, તો તેની કેટલીક મુશ્કેલીઓ પણ છે. વર્ષાઋતુમાં કાદવ કીચડ અને ગંદકી વધારે થાય છે તેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે પરિણામે મલેરિયા, મરડો અને વાળા જેવા રોગ ફેલાય છે.

હવા, પાણી અને ખોરાક એ માનવજીવનની ત્રણ મુખ્ય જરૂરિયાતો છે. હવા તો કુદરતે આપણને વિપુલ પ્રમાણમાં આપી છે પરંતુ પાણી અને અનાજની વિપુલતાનો આધાર વરસાદ પર છે. પશુધનને તંદુરસ્ત અને જીવતાં રાખવા માટે ઘાસચારો જરૂરી છે, તેનો આધાર પણ વરસાદ પર જ છે. આમ, વર્ષાઋતુ સૌના જીવન માટેનો મુખ્ય આધાર છે.

 

સાચે જ વર્ષાઋતુ અન્નપૂર્ણા છે. તેનું પ્રાકૃતિક સૌંદર્ય અને તેની મહત્તાને ધ્યાનમાં લઈને જ કવિઓએ તેને 'ઋતુઓની રાણી' કહી છે. કવિશ્રી બાલમુકુન્દ દવેએ વરસાદના રૌમ્ય રૂપને કાવ્યમાં ઉતાર્યું છે:

"આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી,

પેલાં રેલી ચાલ્યાં રૂપ કોઈ ઝીલો જી."


 Gujarati Sahitya

Thank You

 

 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો