ભોજાભગત | Bhoja Bhagat






 જીવન

ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં લેઉઆ કણબી જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા.


વ્યવસાયે તેઓ ખેડૂત હતા. અભણ હોવા છતાં તેમનાં ગિરનારી ગુરૂના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો, તે ભોજા ભગતના ચાબખાઓ તરીકે પ્રખ્યાત છે.


૧૮૫૦માં વીરપુર મુકામે ૬૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું, જ્યાં તેઓ તેમના શિષ્ય જલારામ બાપાની મુલાકાતે ગયા હતા. તેમનું સ્મારક મંદિર (ઓતા તરીકે જાણીતું) વીરપુરમાં આવેલું છે.


સર્જન

તેમના પદોમાં તેઓ પોતાનો ભોજલ તરીકે ઉલ્લેખ કરતા હતા.કવિ અને ફિલસૂફ તરીકે તેમણે આરતીઓ, ભજનો, ધૂન, કાફી, કિર્તન, મહિમાઓ, પ્રભાતિયા, હોરી, સરવડા, ગોડી અને પ્રભાતિયાં લખ્યા છે પરંતુ તેમના ચાબખાઓ સૌથી વધુ પ્રખ્યાત છે. આ કટાક્ષમય રચનાઓ ભોજા ભગતના ચાબખાઓ તરીકે ગુજરાતીમાં જાણીતી છે. સામાજીક વિસંગતતાઓ પર તેમણે તેમની ભાષામાં કટાક્ષ કર્યો છે. તેમના પદોમાં તેમની કોમળ ભાષા દેખાઇ આવે છે. ભક્તમાળામાં ગોપીઓથી વિખૂટા પડતા કૃષ્ણનું વર્ણન છે. ચાલૈયાખ્યાન અને તેમનું ભજન કાચબો અને કાચબી જાણીતાં છે. તેમનું સર્વદાન વિશ્વ સાથે તાદાત્મય અંગે છે.


પ્રભાવ

તેમનાં અનુયાયીઓ ફતેપુરના દર્શને જાય છે જ્યાં તેમણે તેમના જીવનનો મોટા ભાગનો સમય ગુજાર્યો હતો. ભોજા ભગતના આશ્રમમાં તેમની પાઘડી, ઢોલિયો અને પાદુકાઓ રાખેલ છે. તેમનું ઇંટોનું બનેલું મૂળ ઘર એમનું એમ છે અને તેમની અંગત વસ્તુઓ ત્યાં રાખવામાં આવી છે. આશ્રમને ગાદી-પતિ કહેવાતા મહંત સંભાળે છે.


તેમને ઘણાં શિષ્યો હતા જેમાં સૌથી વધુ પ્રભાવશાળી અને જાણીતાં સંતોમાં વીરપુરના જલારામ અને ગારીયાધારના વાલમરામનો સમાવેશ થાય છે.


‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું સર્જન કરનારા તેમજ ચાબકાનાં ધણી શ્રી ભોજલરામ બાપા



પદ ૧ લું.

દેસિ સંતતણી લાવીરે, ભેળાં ફરે બાવો ને બાવી. – ટેક.

મોટાં કપાળે ટિલાં કરે ને, વળી ટોપી પટકાવી;

કંથો ને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવીરે.  દેસિ.

સંત સેવામાં સુખ ઘણુંને, કરે સેવા મન ભાવી;

તન મન ધન સોંપો એ સંતને, પ્રીતિયો લગાવીરે.  દેસિ.

એવું ને એવું જ્ઞાન દિયે, બહુ હેતે બોલાવી;

ભોજો ભગત કહે રાખ્યા ચાહુમાં, ભેખે ભરમાવીરે.  દેસિ.



પદ ૨ જું.

ભેખ તો ભાવર થકી ભુંડારે, મેલા અંતરમાં ઉંડા. – ટેક.

ટકો પૈસો ટેલ ગામ ગામ નાંખે, વળી ખેતર ખેતર ડુંડાં;

જેની વાંસે ધાય તેનો કેડો ન મેલે, જેમ કટકનાં લુંડારે.  ભેખ.

ત્રાંબિયા સારુ ત્રાગું કરે ને વળી, કામ ક્રોધના ઉંડા;

ધન ધુતવા દેશ દેશમાં ફરે, જેમ મલકમાં મુંડારે.  ભેખ.

ગામ બધાની ચાકરી કરેને, ઘેર રાખે અગન કુંડા;

ભોજો ભગત કહે કર્મની કોટી, પાપતણાં જુંડારે.  ભેખ.



પદ ૩ જું.

જોઇ લો જગતમાં બાવારે, ધર્યા ભેખ ધુતિને ખાવા. – ટેક.

જ્યાં પ્રેમદા ઘણી પાણી ભરે, જ્યાં જાય નિત નિત નાવા;

રાંડી છાંડી નારનો નર ઘર ન હોય ત્યારે, બાવોજી બેસે ગાવા રે.  જોઇ લો.

લોકનાં છોકરાંને તેડી રમાડે, વળી પરાણે પ્રીત થાવા;

ગૃહસ્થની સ્ત્રી રીસાવી જાય ત્યારે, બાવોજી જાય મનાવારે.  જોઇ લો.

રૂપ કરે ને બાવો ધ્યાન ધરે, ભોળા લોકને ભરમાવા;

ભોજો ભગત કહે ભાવેસું સેવે એને, જમપુરીએ જાવારે.  જોઇ લો.



પદ ૪ થું.

ભરમાવી દુનિયાં ભોળીરે, બાવો ચાલ્યો ભભુતી ચોળી. – ટેક.

દોરા ધાગા ને વળી ચીઠ્ઠી કરીને, આપે ગણકારુ ગોળી;

જીવને હણતાં દયા ન આણે, જેમ ભીલ કાફર કોળીરે.  ભરમાવી.

નિત નિત દર્શન નીમ ધરાવે, ઘેર આવે ત્રિયા ટોળી;

માઇ માઇ કરીને બાવો બોલાવે, હૈયે કામનાની હોળીરે.  ભરમાવી.

સઘળા શિષ્યને ભેળાં કરી ખાય, ખીર ખાંડ ને પોળી;

ભોજો ભગત કહે ભવસાગરમાં, બાવે માર્યા બોળીરે.  ભરમાવી.



પદ ૫ મું.

મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલસે મોટો પાણો. – ટેક.

ધાઇ ધુતીને ધન ભેળું કીધું, કોટિધ્વજ કહેવાણો;

પુણ્યને નામે પા જૈ ન વાવર્યો, અધવચેથી લૂટાણોરે.  મૂરખો.

ભર્યા કોઠાર તારા ધર્યા રહેશે, નહિ આવે સાથે એક દાણો;

મસાણની રાખમાં રોળઇ ગયા કઇક, કોણ રંકને કોણ રાણોરે.  મૂરખો.

મંદિર માળિયાં મેલી કરીને, નીચે જઈ ઠેરાણો;

ભોજો ભગત કહે મુવા પુઠે જીવ, ઘણો ઘણો પસ્તાણોરે.  મૂરખો.



પદ ૬ ઠું.

મૂરખો માની રહ્યો મારું રે, તેમાં કાંઇયે નથી તારું. – ટેક.

સાત સાયર જેની ચોકી કરતા, ફરતું નીર ખારું;

ચૌદ ચોકડીનું રાજ્ય ચાલ્યું ગયું, રાવણાદિક વાળું રે.  મૂરખો.

દુઃખને તો કોઇ દેખે નહીં, ને સુખ લાગે સારું;

વેળા વેળાની છાંયડી તારી, વળિ જાશે વારું રે.  મૂરખો.

હરિ ભજનમાં હેત જ રાખો, સ્મરણ કરો સારું;

ભોજો ભગત કહે રાખો હૃદયમાં, પ્રભુનું ભજન પ્યારું રે.  મૂરખો.



પદ ૭ મું.

ભક્તિ શિશતણું સાટુંરે, આગળ વસમી છે વાટુ. – ટેક.

એક દિવસ તો આવી બની, રાજા મૂરધ્વજને માથે;

કાશિએ જઇને કરવત મુકાવ્યું, હરિજનને હાથે રે.  ભક્તિ.

સત્યને કાજે ત્રણે વેચાયાં, રોહિદાસ ને રાણી;

ઋષિને વાસ્તે રાજા વેચાણો, ભરવાને પાણી રે.  ભક્તિ.

પેરો પટોળાં પ્રેમનાં રે તમે, શૂરવિર થઇ ચાલો;

ભોજો ભગત કહે ગુરુ પરતાપે, આમરાપર માલોરે.  ભક્તિ.



પદ ૮ મું.

દુનિયાં દીવાની કહેવાશેરે, ભુંડી ભિતોમાં ભટકાશે. – ટેક.

પાપ જ્યારે એનું પ્રગટ થશે ત્યારે, ભૂવા જતિ ઘેર જાશે;

ધુણી ધુણી એની ડોક જ દુઃખસે, ને લેનારો લેઈ ખાશેરે.  દૂનિયાં.

સ્વર્ગમાં નથી સૂપડું ને, નથી ખાંડણિયો ને ઘંટી;

દુધ ચોખાના જમનારા તમે, કેમ કરી જમશો બંટીરે.  દૂનિયાં.

ઢોંગ કરીને ધુતવાને આવે ત્યારે, હાથ બતાવા સૌ જાશે;

ક્યારે આના કર્મનું પાનુંરે ફરશે, અને ક્યારે પુત્ર જ થાશેરે.  દૂનિયાં.

કીમિયાગર કોઇ આવી મળે ત્યારે, ધનને વાસ્તે ધાશે;

ભોજો ભગત કહે ભ્રમણામાં ભમતાં, ગાંઠની મૂડિ ગમાશેરે.  દૂનિયાં.








પ્રાણિયા, ભજી લેને કિરતાર

આ તો સ્વપનું છે સંસાર….. (2)

ધન દોલતને માલ ખજાના

પુત્ર ને પરિવાર,

એમાંથી જાશ તું એકલો,

પછે ખાશ જમના માર…… પ્રાણિયા…

ઊંચી મેડીને અજબ ઝરુખા,

ગોખ તણો નહીં પાર,

કોટિધ્વજને લક્ષપતિ તેના

બાંધ્યા રહ્યા ઘરબાર……… પ્રાણિયા…..

ઉપર ફરેરા ફરહરે ને,

હેઠે શ્રીફળ ચાર,

ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો,

પછે વાંસે પડે પોકાર…….. પ્રાણિયા…..

સેજ તળાયું વિના સૂતો નહિ,

જીવ હુન્નર કરતો હજાર,

ખોરી ખોરીને ખૂબ જળાયો

જેમ લોઢું ગાળે લુહાર……… પ્રાણિયા…….

સ્મશાને જઈને ચેહ ખડકી

ને માથે છે કાષ્ઠનો ભાર,

અગ્નિ મેલીને ઊભા રહ્યા,

અને નિશ્ચય ઝરે અંગાર…….. પ્રાણિયા……

સ્નાન કરીને ચાલી નીકળ્યાં,

નર અને વળી નાર,

ભોજો ભગત કહે દશ દી રોઈને,

પછે મેલ્યો વિચાર……………પ્રાણિયા…

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો